માં અન્નપૂર્ણાને અન્નની દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. શાસ્ત્રોના અનુસાર માં અન્નપૂર્ણાની કૃપા જે ઘર પર હોય છે ત્યાં ક્યારેય પણ અન્નની અને ધનની કમી આવતી નથી. તેથી તે ખૂબ જ જરૂરી છે કે માં અન્નપૂર્ણાના આશીર્વાદ તમારા ઉપર સદાય જળવાઈ રહે. માં અન્નપૂર્ણાને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે અને તેમની પૂજા કરવાથી અને નીચે જણાવવામાં આવેલ ઉપાયો કરીને માં અન્નપૂર્ણાના આશીર્વાદ મેળવી શકાય છે.
માં અન્નપૂર્ણાને આ રીતે કરો પ્રસન્ન
- માં અન્નપૂર્ણા અન્નમાં બિરાજમાન હોય છે તેથી તમારે અન્નની પૂજા કરવી જોઈએ. તમે જ્યારે પણ ભોજન કરવા બેસો તે પહેલા હાથ જોડીને તેમની પૂજા કરો અને ત્યારબાદ જ ભોજન ગ્રહણ કરવાનું શરૂ કરવું જોઈએ.
- ગરીબોને ભોજન દાન કરવાથી માં અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે.
- રસોઇ ઘરની સફાઈ પણ રાખવી જોઈએ.
- દરરોજ પહેલી રોટલી ગાય માટે બનાવવી જોઈએ અને ત્યારબાદ જ આપણા પોતાના માટે ભોજન તૈયાર કરવું જોઈએ. ગાયને રોટલી ખવડાવવાથી પણ માં અન્નપૂર્ણાના આશીર્વાદ મળે છે.
- અન્નના ડબ્બામાં હંમેશા એક રૂપિયાનો સિક્કો નાખીને રાખવો જોઈએ.
ઉપર જણાવવામાં આવેલ ઉપાયો કરવાથી માં અન્નપૂર્ણાની કૃપા તમારા પર સદાય જળવાઈ રહેશે અને ઘરમાં ક્યારેય પણ અન્નની કમી પડશે નહી. વળી માં અન્નપૂર્ણા તમારાથી નારાજ ના થાય તેના માટે નીચે જણાવવામાં આવેલી ભૂલો કરવાથી બચવું જોઈએ.
ભૂલમાં પણ ના કરો આવી ભૂલો
- માં અન્નપુર્ણા એ ઘરમાં જ બિરાજમાન થાય છે જ્યાં દરરોજ સાફ સફાઈ થતી હોય. તેથી તમે તમારા ઘરની સફાઈનું ખાસ ધ્યાન રાખો. સાથે જ રસોઇ ઘરને ભૂલમાં પણ ગંદુ રાખવું જોઈએ નહી. રસોઈ ઘર ગંદુ હોવાથી માં અન્નપૂર્ણા ક્રોધિત થઈ જાય છે અને ઘરમાં અન્નની કમી થવા લાગે છે.
- ક્યારેય પણ બેડ પર બેસીને ભોજન ના કરવું જોઈએ. આવું કરવાથી માં અન્નપૂર્ણાની સાથે સાથે રાહુ પણ અપ્રસન્ન થઈ જાય છે. શાસ્ત્રોના અનુસાર બેડ પર ભોજન રાખવાથી અન્નનું અપમાન થાય છે. તેથી તમારે ક્યારેય પણ બેડ પર બેસીને ભોજન ના કરવું જોઈએ. ભોજનને હંમેશા જમીન પર બેસીને જ ગ્રહણ કરવું ઉત્તમ માનવામાં આવે છે.
- ઘણા લોકો પોતાની થાળીમાં વધારે ભોજન લઈ લેતા હોય છે અને બાદમાં તેને પૂરું કરી શકતા નથી. જેના કારણે આ ભોજન બેકાર જાય છે અને તેનો કોઈ ઉપયોગ રહી જતો નથી. તેથી હંમેશા એટલું જ ભોજન લેવું જોઈએ જેટલું આપણે ગ્રહણ કરી શકીએ.
- ક્યારેય પણ તમારું એઠું ભોજન બીજા કોઈ વ્યક્તિને ખવડાવવું ના જોઈએ. જ્યારે પણ તમે કોઈને ભોજન આપો તો એકદમ ચોખ્ખું ભોજન જ પીરસવું જોઈએ.
- ભોજન કર્યા બાદ ઘણા લોકો થાળીની અંદર જ હાથ ધોઈ લેતા હોય છે જેને યોગ્ય માનવામાં આવતું નથી. થાળીની અંદર હાથ ધોવાથી ચંદ્ર અને શુક્ર ક્રોધિત થઈ જાય છે. એટલું જ નહી તેને અન્નપૂર્ણાનું અપમાન પણ માનવામાં આવે છે. તેથી જો આ આદત તમને પણ હોય તો તેને તુરંત જ બદલી નાખો.
- ક્યારેય પણ વધેલું ભોજન ફેકવુ ના જોઈએ. હકીકતમાં ઘણા લોકો દ્વારા વધારે ભોજન બની ગયા બાદ તેને ફેંકી દેતા હોય છે. જે ખરેખર યોગ્ય નથી. વધારે ભોજન બની ગયું હોય તો તેને કોઈ ગરીબ કે કોઈ પ્રાણીને ખવડાવી દેવું જોઈએ.
જો તમે આ વાતોનું પાલન કરશો તો માં અન્નપૂર્ણાના આશીર્વાદ સદાય તમારા પર જળવાઈ રહેશે.