મહારાષ્ટ્રનાં મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર ગુરુવારે એક મોટો અકસ્માત થયો હતો. બ્રેક ફેઇલ થવાનાં કારણે એક ટ્રકે અનેક વાહનોને અડફેટે લીધા હતાં. આ ઘટનામાં ૬ લોકો ઘાયલ થયા છે. રાયગઢ જિલ્લાનાં ખોપોલી નજીક એક ટ્રકે ઓછામાં ઓછા ૧૧ વાહનોને ટક્કર મારી હતી, જેમાં ૬ લોકો ઘાયલ થયા હતાં, એવું એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આ અકસ્માતની માહિતી મળ્યા બાદ પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ અકસ્માતનાં કારણે થોડા સમય માટે મુંબઇ તરફના ટ્રાફિકને અસર થઈ હતી. આ ઘટનાની વિગતો આપતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર બ્રેક મારવામાં નિષ્ફળ ગયા બાદ એક ટ્રકે એક વાહનને ટક્કર મારતાં આ અકસ્માત શરૂ થયો હતો. ત્યારબાદ કાર ની અથડાવવાની સંખ્યા વધી ગઈ હતી. મહારાષ્ટ્રના ખોપોલી પાસે થયેલા આ અકસ્માતમાં ૧૧ જેટલી ગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી.
ઘટના સ્થળેથી આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વાહનો એકબીજા પર ચઢીને વિખેરાઈ ગયા છે. આ ઘટનામાં હજુ સુધી કોઈને જાનહાનિ થઈ નથી. ઇજાગ્રસ્તોમાંથી કોઈને પણ કોઈ મોટી ઈજા પહોંચી નથી. આ અકસ્માત બાદ એક્સપ્રેસ-વે પર ભારે ટ્રાફિક જામ થઇ ગયો હતો. જોકે આ અકસ્માત બાદ તરત જ બચાવકર્મીઓ સક્રિય થઇ ગયા હતાં, જેથી કરીને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી શકે તેમજ એક્સપ્રેસ-વે પરથી ક્ષતિગ્રસ્ત વાહનોને સાઇડલાઇન કરીને ટ્રાફિક ખુલ્લો મુકવામાં આવે.
આ પહેલા માર્ચ મહિનામાં મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર એક કાર ટ્રક સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં ૩ લોકોના મોત થયા હતાં. આ અકસ્માત ઉર્સે ગામ પાસે થયો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અકસ્માતમાં મૃત્યુ પામનારા પૈકી એક નું નામ વિજય વિશ્વનાથ ખૈર છે. પોલીસે જણાવ્યું હતું કે કારમાં સવાર લોકો પુણેથી મુંબઇ જઇ રહ્યા હતાં. આ દરમિયાન રોડની સાઈડમાં ઉભેલા ટ્રક સાથે તેની ટક્કર થઈ ગઈ હતી. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત ૩ લોકોના મોત થયા હતાં.
#WATCH | Collision of 7 vehicles on Mumbai-Pune Expressway at Khopoli, four people injured#Maharashtra pic.twitter.com/lIIuClOERx
— ANI (@ANI) April 27, 2023
આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ મૃતકોના મૃતદેહને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતાં. પોલીસે જણાવ્યું હતું કે ટક્કર એટલી જોરદાર હતી કે કાર લગભગ ટ્રક ની નીચે ચાલી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતાં. આ અકસ્માત બાદ એક્સપ્રેસ-વે પરના ટ્રાફિકને અસર થઈ હતી. ક્ષતિગ્રસ્ત વાહનોને દુર કર્યા પછી અવરજવર સામાન્ય થઈ હતી.