અયોધ્યામાં બની રહેલ રામમંદિરથી પાકિસ્તાન દેશ ખૂબ જ દુઃખી છે અને આ મુદ્દા પર તે દેશના રેલવે મંત્રી શેખ રશિદએ વિવાદિત નિવેદન આપ્યું છે. ઇમરાનખાન સરકારના રેલ્વે મંત્રી શેખ રશિદ એ પોતાના નિવેદનમાં મોદી સરકારની આલોચના કરી હતી. રશીદ એ તેમના એક નિવેદનમાં કહ્યું કે ભારત હવે રામનગર થઈ ગયું છે. ત્યાં કોઈ ધર્મ નિરપેક્ષતા રહી નથી. ભારતમાં હવે હિન્દુવાદી દળો તાકતવર થઈ ગઈ છે. રસીદનું આ નિવેદન મંગળવારે આવ્યું હતું.
મોદીને નિશાન બનાવવા માંગતા હતાં
રસીદ એ રામમંદિર ના બહાને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન બનાવવા માગે છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે સ્પષ્ટ શબ્દોમાં કહું તો ભારત હવે ધર્મ નિરપેક્ષ રહ્યું જ નથી. ભારત હવે શ્રીરામના હિન્દુત્વમાં આવી ચૂક્યું છે. રશીદ એ રામ મંદિર અને કાશ્મીર મુદ્દાને જોડતાં કહ્યું કે આ એક સંયોગ જ છે કે જે દિવસે મોદીજી રામમંદિરનું ભૂમિ પૂજન કરશે એ જ દિવસે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ હટાવ્યાને એક વર્ષ પૂરું થશે. પાકિસ્તાનના મુસલમાનો કાશ્મીરીઓની સાથે છે. ભારત તેમને એ નક્કી કરવાની તક આપે કે તે કોની તરફ રહેવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગયા વર્ષે ૫ ઓગસ્ટના રોજ અનુચ્છેદ ૩૭૦ ને જમ્મુ-કાશ્મીરમાંથી હટાવવામાં આવી હતી અને હવે એક વર્ષ પછી આ જ દિવસે રામમંદિર નું ભૂમિ પૂજન અયોધ્યામાં કરવામાં આવ્યું છે. જેનાથી પાકિસ્તાનને બળતરા થઇ રહી છે અને પાકિસ્તાનના મંત્રી આવા નિવેદનો આપી રહ્યા છે. જોકે આ પ્રકારના નિવેદનો આપ્યા પહેલા રશીદ એ પહેલા પોતાના દેશની સ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ. પાકિસ્તાનમાં કઈ રીતે લઘુમતીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે અને જબરદસ્તીથી તેમનું ધર્મ પરિવર્તન કરવામાં આવે છે. તે કોઈથી છુપાયેલ નથી. પરંતુ પોતાના દેશના લઘુમતીઓની હાલત કરતા વધારે રશિદને ભારતમાં રહેલા લઘુમતીઓ માટે દુખ થઇ રહ્યું છે.
પાકિસ્તાને નવો નકશો બહાર પાડ્યો
પાકિસ્તાને મંગળવારના રોજ એક નવો રાજકીય નકશો બહાર પાડ્યો હતો અને તેના હેઠળ જમ્મુ-કાશ્મીર અને ગુજરાતના અમુક વિસ્તારો પર પોતાનો અધિકાર બતાવ્યો હતો. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને એક નવો રાજનીતિક નકશો બહાર પાડતાં કહ્યું હતું કે મંગળવારે તેને સંઘીય મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. જોકે ભારતે આ નકશાને હાસ્યાસ્પદ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ નકશાની ના તો કોઈ કાનૂની માન્યતા છે કે ના તો કોઈ આંતરરાષ્ટ્રીય વિશ્વસનીયતા.
ભારતના વિદેશ મંત્રાલય તરફથી જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે અમે પાકિસ્તાનનો એક કથિત રાજનીતિક નકશો જોયો છે. જે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને જાહેર કર્યો છે. તે એક રાજનીતિક મૂર્ખતા છે. જેમાં ભારતના રાજ્ય ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર તેમજ લદાખ પર પોતાનો કબજો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મૂર્ખતાપૂર્ણ વાતોમાં ના તો કોઈ કાનૂની માન્યતા છે કે ના તો કોઈ આંતરરાષ્ટ્રીય વિશ્વસનીયતા. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન દેશ ચીનના ઈશારો પર આ બધું કરી રહ્યું છે. પાકિસ્તાન પહેલા ચીનના ઈશારો પર નેપાળ પણ પોતાના દેશનો નકશો બહાર પાડ્યો હતો અને ભારતના અમુક વિસ્તારો પર પોતાના દેશનો હિસ્સો બતાવ્યો હતો.