સુશાંતના પિતાએ રીયા ચક્રવતી પર લગાવ્યા સનસનીખેજ આક્ષેપો : જાણો FIR માં શું શું છે ?

Posted by

અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના આત્મહત્યાના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. અભિનેતાના મૃત્યુ બાદથી તેમનો પરિવાર આ મામલા માં શાંત હતો પરંતુ હવે તેમની તરફથી એક્ટ્રેસ અને સુશાંતની ખાસ મિત્ર રીયા ચક્રવતી પર ઘણા મોટા આક્ષેપો લગાવ્યા છે. મુંબઈ પોલીસે પણ રિયાની પૂછપરછ કરી હતી. ત્યારબાદ બીજા ઘણા લોકોના પણ નિવેદનો લેવામાં આવ્યા હતાં. કેસની તપાસ શરૂ છે. પરંતુ અત્યારસુધીમાં તારણ એવું બહાર આવ્યું છે કે આ મામલો આત્મહત્યાનો છે. હવે જે રીતે સુશાંતના પિતા કે.કે.સિંહ એ રીયા અને તેમના પરિવાર પર સનસનાટીભર્યા આક્ષેપો લગાવ્યા છે. તે ચોંકાવનારા છે.

રીયા અને તેમના પરિવાર પર કેસ નોંધાયો

સુશાંતના પિતાએ પટનામાં રીયા અને તેમનો પરિવાર ઇન્દ્રજીત ચક્રવતી, સંધ્યા ચક્રવતી, શોવિક ચક્રવતી વિરુદ્ધ ઘણી કલમો હેઠળ કેસ કર્યો છે. તેમના પિતાની એફઆઈઆર માં શું વાતો લખી છે તેને અહિયાં અમે તમને જણાવીશું.

ભુત-પ્રેતની વાત કહીને છોડાવ્યું ઘર

સુશાંતના પિતાએ જણાવ્યુ કે, રીયા અને તેમના પરિવારના લોકો ઇન્દ્રજીત ચક્રવતી, સંધ્યા ચક્રવતી, શોવિક ચક્રવતી પહેલા મારા પુત્રની ખૂબ જ નજીક આવ્યા અને ત્યારબાદ તે સુશાંતના દરેક મામલામાં દખલગીરી કરવા લાગ્યાં. ત્યારબાદ મારો પુત્ર જ્યાં રહેતો હતો તે ઘરને એવું કહીને છોડાવી દીધું કે તે ઘરમાં ભૂત-પ્રેત છે. તે વાતની અસર મારા પુત્રના મગજ પર થઈ અને ત્યાથી મુંબઈ એરપોર્ટની પાસે એક રિસોર્ટમાં તેમને રાખવામા આવ્યો.

સુશાંતને રીયા કહેતી હતી કે પાગલ જેવી વાતો કરો છો

સુશાંતના પિતાના જણાવ્યા અનુસાર, રીયા મારા પુત્રને વારંવાર કહેતી હતી કે તું પાગલ લોકો જેવી વાતો કરે છે. તારા મગજમાં કોઈ સમસ્યા છે. તમારે સારી સારવારની જરૂર છે. તેથી કોઈ સારા ડોક્ટર પાસે તમારી સારવાર કરાવીએ. જ્યારે અમને આ બધી જાણ થઈ તો મારી પુત્રી સુશાંતને મળી અને તેમને મુંબઈથી પરત લાવવાની કોશિશ કરી પરંતુ રીયા અને તેમના પરિવારના લોકોએ સુશાંત પર મુંબઈમાં જ રહેવા માટે દબાણ  કર્યું અને ત્યાં જ સારવાર કરવાની વાત કરી. રિયાએ સુશાંતને પરત ફરવા ના દીધો અને મારી પુત્રી નિરાશ થઈને પરત ફરી ગઈ.

રીયાએ સુશાંતને આપ્યો દવાનો ઓવેરડોઝ

કે.કે.સિંહએ આગળ જણાવ્યુ કે, ત્યારબાદ રીયા મારા પુત્રને સારવારના બહાને મુંબઈ સ્થિત પોતાના ઘરે લઈ ગઈ અને ત્યાં તેને દવાઓનો ઓવેરડોઝ આપવામાં આવ્યો. તે સમયે રિયાએ બધાને જણાવ્યુ કે સુશાંતને ડેન્ગ્યુ થઈ ગયો છે અને તેની સારવાર ચાલી રહી છે. જો કે સુશાંતને ક્યારેય ડેન્ગ્યુ થયો જ નહોતો. તે દરમિયાન રીયા અને તેના પરિવારે સુશાંતની બધી જ ચીજો પર કબ્જો કરી લીધો અને સુશાંત પણ અમારાથી દૂર જવા લાગ્યો હતો.

સુશાંતને ઓફર થનારી ફિલ્મોમાં રીયા રાખતી હતી શરતો

સુશાંતના પિતાના જણાવ્યા અનુસાર, જ્યારે સુશાંતને ફિલ્મોની ઓફરો આવતી હતી તો રીયા શરતો રાખતી હતી કે જો મને ફિલ્મમાં સુશાંતની સાથે લીડ એક્ટ્રેસનો રોલ મળશે તો જ સુશાંત ફિલ્મ કરશે. ફક્ત એટલું જ નહીં સુશાંત સાથે જોડાયેલ જેટલા પણ વિશ્વાશુ કર્મચારી હતાં તેમને રિયાએ બદલી નાખ્યા હતાં અને તેમની જગ્યાએ રિયાએ પોતાના જાણીતા લોકોને નિયુક્ત કરી દીધા. રીયાએ સુશાંતનો ફોન નંબર પણ બદલાવી નખાવ્યો હતો. ત્યારબાદ સુશાંત સાથે ક્યારેક ક્યારેક જ વાત થતી હતી. તે સમયે સુશાંતે અમને લોકોને જણાવ્યુ કે આ લોકો તેમને ગાંડાની હોસ્પિટલમાં નાખવા માંગે છે અને હું કઇ કરી શકું તેમ નથી. ત્યારબાદ સુશાંત મારી પુત્રીઓને મળવા દિલ્હી આવ્યો. તેમને આવ્યાને હજુ ત્રણ દિવસ જ થયા હતા કે રીયા વારંવાર ફોન કરીને તેમને પરત મુંબઈ આવવાનું કહેવા લાગી.

રિયાએ સુશાંતને કહ્યું – બધાને કહી દઇશ કે તું પાગલ છે

સુશાંતના પિતાએ આગળ જણાવતા કહ્યું કે, મારો પુત્ર ફિલ્મ લાઇનને છોડીને કેરલના કુર્ગમાં ઓર્ગેનિક ખેતી કરવા માંગતો હતો. તે વખતે રિયાએ તે વાતનો વિરોધ કર્યો. તેમણે સુશાંતને કહ્યું કે તું ક્યાય પણ નહીં જાય અને મારી વાત નહીં માનીશ તો હું મીડિયામાં તારો મેડિકલ રિપોર્ટ આપી દઇશ. પછી બધાને કહી દઇશ કે તું પાગલ છો. પરંતુ તેમ છતાં પણ જ્યારે રિયાને લાગ્યું કે સુશાંત તેમની વાત નથી માની રહ્યો અને તેમનું બેન્ક બેલેન્સ પણ ઓછું થઈ રહ્યું છે તો રીયા ૮ જૂન ૨૦૨૦ ના રોજ સુશાંતના ઘરેથી બધો જ સામાન જેવુ કે રોકડા રૂપિયા, ઘરેણા, લેપટોપ, ક્રેડિટ કાર્ડ, સુશાંતના જરૂરી દસ્તાવેજ અને ઈલાજના કાગળો લઈને ચાલી ગઈ અને સુશાંતનો ફોન નંબર પણ પોતાના ફોનમાં બ્લોક કરી દીધો.

રીયા કહેતી હતી કે તેમને કોઈ કામ નહીં આપે

સુશાંતના પિતાએ પોતાના આક્ષેપોમાં કહ્યું કે, સુશાંતે મારી પુત્રીને ફોન કર્યો. તેમને ડર હતો કે રીયા તેમને કોઈ કેસમાં ફસાવી ના દે કારણકે તે ઘરમાથી ઘણો સામાન લઈને ગઈ હતી. રિયાએ સુશાંતને કહ્યું હતું કે જો તેમણે વાત ના માની તો તે મીડિયામાં કહી દેશે કે તું પાગલ થઈ ગયો છે. ત્યારબાદ તને કોઈ કામ નહીં આપે. તું બરબાદ થઈ જઈશ. આ દરમિયાન ૮/૯ જુનની રાતે સુશાંતની સેક્રેટરી દિશાએ આત્મહત્યા કરી લીધી. તેમને રિયાએ જ નિયુક્ત કરી હતી. દિશાની આત્મહત્યાથી મારો પુત્ર ગભરાઈ ગયો. તેમણે રિયાને ફોન કર્યો પરંતુ તેમણે તો સુશાંતના નંબરને બ્લોક કર્યો હતો. મારા પુત્રને ડર હતો કે રીયા દિશાની આત્મહત્યા માટે તેમને દોષીત ના ઠેરવે.

સુશાંતના પિતાએ પોતાની એફઆઈઆરમાં આટલા સવાલો પણ કર્યા છે

  • વર્ષ ૨૦૧૯ પહેલા મારા પુત્રને કોઈ જ સમસ્યા નહોતી. રીયા ના સંપર્કમાં આવ્યા બાદ જ એવું તે શું થઈ ગયું ?
  • જો તેમની માનસિક સારવાર ચાલી રહી હતી તો તેમના માટે અમારી પાસે પરવાનગી લેવામાં કેમ ના આવી ?
  • જે જે ડોક્ટરોએ રીયાના કહેવા પર સુશાંતની સારવાર કરી તે પણ રિયાના કાવતરામાં સામેલ હતાં. તે વાતની તપાસ થવી જોઈએ કે તેમણે મારા પુત્રને કઈ કઈ દવાઓ આપી હતી.
  • મારા પુત્રના એકાઉન્ટમાં ૧૭ કરોડ રૂપિયા હતાં. પાછલા એક વર્ષમાં તેમાથી ૧૫ કરોડ રૂપિયા કાઢવામાં આવ્યા છે. આ બધા જ પૈસા એવા ખાતામાં ટ્રાન્સફર થયેલ છે જેની સાથે મારા પુત્રને કઈ લેવા દેવા નથી. બધા જ ખાતાઓની તપાસ થવી જોઈએ.
  • તેની પણ તપાસ થવી જોઈએ કે રીયાના સંપર્કમાં આવ્યા બાદ કેમ સુશાંતની ફિલ્મો અચાનક જ ઓછી થઈ ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *