મનોરંજન જગતના ઘણા બધા કલાકારો નિયમિત રીતે ગુજરાતમાં આવતા રહે છે અને ઘણા કલાકારો મંદિરનાં દર્શન કરવા માટે પણ ગુજરાત આવે છે. એવા ઘણા બધા ગુજરાતી કલાકારો છે, જેમણે બોલિવુડ અને ટીવી જગતમાં પોતાનું નામ રોશન કર્યું છે. ત્યારે આ કલાકારો પણ ઘણીવાર ભગવાનનાં દર્શન કરવા ગુજરાતમાં આવે છે. તાજેતરમાં જ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” માં પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતનારી અંજલી ભાભી ઉર્ફે નેહા મહેતા ખોડલધામ મંદિર દર્શન કરવા માટે પહોંચી હતી.
હવે નેહા મહેતા આ શો નો ભાગ નથી અને તેણે “તારક મહેતા” ને અલવિદા કહી દીધું હતું અને તેના સ્થાને નવી અંજલિ ભાભી પણ શો માં આવી ગઈ છે પરંતુ નેહા મહેતાની ફેન ફોલોઇંગ આજે પણ ખુબ જ મોટી છે. નેહા મહેતા આજે પણ ખુબ જ લોકપ્રિય છે. થોડા દિવસો પહેલા રિલીઝ થયેલી ફિલ્મ “હલકી ફુલકી” માં પણ તે જોવા મળી હતી. ત્યારે તેમણે રાજકોટ જિલ્લાના કાગવડ શ્રી ખોડલધામ મંદિરે દર્શન કર્યા હતાં, જે પાટીદારના કુળદેવી અને લાખો ભાવિક ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે.
નેહા મહેતાએ પણ ગોડલધામમાં દર્શન કરીને માતાજીનાં આશીર્વાદ લીધા હતાં. ખોડલધામ મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ખોડલધામ મંદિર ટ્રસ્ટનાં ટ્રસ્ટી જીતીભાઈ વસોયાએ માતાજીનાં ફોટા સાથે ખોડલધામનો ખેસ પહેરાવીને નેહા મહેતાનું સન્માન કર્યું હતું અને ખોડલધામ ઇન્સ્ટિટ્યુટ વિશે પણ માહિતી આપી હતી.
અમે તમને જણાવી દઈએ કે ખોડલધામ મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. અનેક દિગ્ગજોએ પણ આ મંદિરમાં દર્શન કરીને માતાજીનાં આશીર્વાદ લીધા હતાં ત્યારે આ લિસ્ટમાં તારક મહેતાની અંજલી ભાભી એટલે કે નેહા મહેતાનું નામ પણ જોડાઇ ગયું છે. ભારતમાં ગુજરાતમાં જન્મેલી નેહા મહેતા એ ટીવી શો “ડોલર બહુ” થી ટેલિવિઝન કરિયરની શરૂઆત કરી હતી.
નેહા મહેતા એક પ્રખ્યાત ભારતીય ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી છે, જે મુખ્યત્વે કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” માં અંજલિ મહેતાની ભુમિકા માટે જાણીતી છે. અંજલી મહેતાનો જન્મ ૯ જુન ૧૯૭૮ના રોજ ભારતનાં ગુજરાત રાજ્યનાં ભાવનગરમાં થયો હતો. તેમના પુર્વજો ગુજરાતનાં પાટણના હતાં પરંતુ તેમનો ઉછેર અમદાવાદ અને વડોદરામાં થયો હતો. તેના પિતા પ્રખ્યાત લેખક અને ગીતકાર છે.